Friday, August 20, 2010

પુસ્તકાલય એટલે મહાશાળા – ગિજુભાઈ બધેકા

{ આપણા દેહને ટકાવવા અને તેનો ઉપયોગ કરવા દરરોજ તેને અન્ન આપીએ છીએ તે જ રીતે આપણાં ચિત્તને વાચન રૂપે રોજ પોષણ આપવાની જરૂર છે. અને આ વાંચનક્ષુધા છીપાવવાની પરબો એટલે પુસ્તકાલયો, પુસ્તકાલયોનું મહત્વ આપણે ત્યાં હજી જોઈએ એટલું સમજાયું નથી. ગિજુભાઈ પ્રસ્તુત લેખમાં એ છતું કરે છે. ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીના ત્રીશીના દાયકા અગાઊના અને એ પછીના શિક્ષણ અને અધ્યાપનની પધ્ધતિઓમાં ક્રાંતિકારી પરિવર્તનનો બધો યશ તેમને ફાળે જાય છે. આ યુગપરિવર્તનકારી ફેરફારો સાથે, એના વિશે એમને ઘણું લખવાનું થયું છે, એમના લખાણો સચોટ અને ઉપદેશોથી દૂર, સમજ આપનારા બની રહ્યાં છે. એમનાથી સ્થળ કાળથી દૂર અનેકોને તેનો લાભ મળ્યા કરે છે એ ખૂબ મહત્વની વાત છે. વાંચે ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ લેખ પ્રસ્તુત બની રહેશે એમાં કોઈ શંકા નથી. }

પુસ્તક સ્વતઃ શિક્ષાગુરૂ છે અને પુસ્તકાલય એ શાળા છે. શાળામાં માણસ જ્ઞાન લેવાનું સાધન માત્ર મેળવે છે. પણ પુસ્તકાલયમાં જઈને તો એ સ્વયં જ્ઞાન મેળવે છે.

એક સારું પુસ્તકાલય અનેક શિક્ષકોની ગરજ સારે છે. શિક્ષકની જેમ પુસ્તકાલય વિદ્યાર્થીઓને ધમકાવતું નથી, શિસ્ત પળાવતું નથી, ખોટી સ્પર્ધામાં ઉતારતું નથી, પરીક્ષાનો ભય પેદા કરતું નથી. તે પ્રેમથી, વિનયથી, રસ વડે તેમાં આવનારને ભણાવે છે.

હરેક શાળામાં પુસ્તકાલય એક અધિક શિક્ષણ તરીકે ગણવું જોઈએ અને શિક્ષકે પોતે બધો વખત શીખવવાનો મમત રાખવા કરતાં વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં વધારે ને વધારે છૂટા મૂકવા જોઈએ.

પુસ્તકાલય રૂપી શાળા ગામેગામ અને લત્તેલત્તે સ્થપાવી જોઈએ. શિક્ષકને ભણાવવાની મહેનત લેવી પડે છે. જ્યારે પુસ્તકોને જ્ઞાન આપવાની મહેનત લેવી પડશે નહીં, માત્ર વારંવાર વંચાઈને ફાટવું પડશે. શિક્ષકની ચોક્કસ હાજરી સિવાય ભણતર સંભવિત નથી. તેને બદલે પુસ્તકાલયનાં બારણાં ચોવીસ કલાક ઉઘાડાં રાખીશું તો એ ચોવીસેય કલાક શિક્ષણ ચાલશે.

વ્યવસ્થા, શાંતિ, સભ્યતા તથા વિનયનું શિક્ષણ આપવાનો પ્રબંધ પણ પુસ્તકાલય કરી શક્શે. પુસ્તકો કેમ વાપરવાં, કેવી રીતે વાંચવા, વાંચનાર પ્રત્યે કેમ વર્તવું, આવ-જા કેમ કરવી, વાતચીત કેમ કરવી વગેરે શીખવવામાં આપોઆપ ઘણી કેળવણી આવે છે.

- ગિજુભાઈ બધેકા

બિલિપત્ર

કદીક પૈગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં,
અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવા કિતાબોમાં.

હ્રદય કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી -
જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં ?

- ઉશનસ

http://aksharnaad.com/2010/06/23/pustakalay-etle-mahashala/

Thursday, August 19, 2010

ગ્રંથ મંદિર અને ઝોલા પુસ્તકાલય લોકાર્પણ કાર્યક્રમ 21/08/2010

વાંચે ગુજરાત અભિયાન કચ્છ જીલ્લા સમિતિ

Email: vanchegujaratkutch@gmail.com Web: www.vanchekutch.blogspot.com

વાંચે ક્ચ્છ વિચારે ક્ચ્છ વિક્સે ક્ચ્છ

18/08/2010

પ્રતિ

માનનીય શ્રી.

___________

નમસ્કાર અને વંદન.

વિષય : ગ્રંથ મંદિર અને ઝોલા પુસ્તકાલય લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અંગે.

વિશ્વના ઈતિહાસમાં કદી પણ ન થયું હોય એવું લોકોને વાંચનની પ્રેરણા આપતું "વાંચે ગુજરાત અભિયાન" ધીરે ધીરે એક જાણ અંદોલન બની રહ્યું છે. જેમાં આપ જેવા સમર્થ કાર્યદક્ષ અને સમર્પિત કાર્યકર્તાઓને કારણે કચ્છ જીલ્લામાં પણ અભિયાનને અદભૂત જોમ અને બળ મળી રહ્યાછે.

આ અભિયાનને હજુ વધુ આગળ ધપાવવા તારીખ ૨૧-૦૮-૨૦૧૦ના રોજ સાંજે 4-૦૦ કલાકે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સૌજન્યથી ઝોલા પુસ્તકાલય તથા ગ્રંથ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં આ અભિયાનના રાજ્ય ઉપાધ્યક્ષ અને શિક્ષણ મંત્રી માનનીય શ્રી રમણભાઈ વોરા ઉપસ્થિત રહી લોકાર્પણ કરશે અને માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમમાં પધારવા આપશ્રીને ભાવભીનું નિમંત્રણ છે.

આપના વિશ્વાસુ

રસનિધિ અંતાણી મહેશ રાવલ નરેન્દ્ર ગોર ગોરધન પટેલ

પ્રમુખ જીળ્લા શિક્ષણાધિકારી અને મંત્રી મંત્રી મંત્રી

વાંચે ગુજરાત અભિયાન” કચ્છ જીલ્લા સમિતિ

નકલ રવાના સવિનય જાણ સારુ નિમંત્રિત સભ્યશ્રીઓ તરફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિનંતી તથા ઉપસ્થિત રહેવાની અનુકૂળતા ન હોય તો આપની શુભેચ્છા પાઠવી અમોને પ્રોત્સાહિત કરવા વિનંતિ છે.

Monday, August 9, 2010

2nd Meeting of Jilla Samiti Report







વાંચે ગુજરાત એ ફ્ક્ત નારો નથી પરંતુ માણસને માણસ બનાવવનો યજ્ઞ છે
વાંચે ગુજરાત અભિયાન એ ફ્ક્ત સરકારી કાર્યક્રમ ન બની રહેતાં લોકોનો કાર્યક્રમ બની રહ્યો છે
વાંચે ગુજરાત અભિયા કચ્છ જીલ્લા સમિતિ ની બેઠક મળી
ભુજ
વાંચે ગુજરાત અભિયાન કચ્છ જીલ્લા સમિતિની બીજી બેઠક તા. ૫મી ઓગષ્ટના રોજ બપોરે ૩:૦૦ કલાકે જીલ્લા પંચાયત હોલમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જીવાભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને મળેલ હતી જેમાં સમિતિના પ્રમુખ રસનિધિભાઇ અંતાણી, જીલ્લા શિક્ષણાધિકારીઓ શ્રી મહેશભાઇ રાવલ, અનિરુધ્ધ છાયા, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કૌશલ્યાબેન માધાપરિયા, ઉપપ્રમુખશ્રી ભૂપેન્દ્રભાઇ મહેતા, મંત્રીઓ ગોરધનભાઇ પટેલ કવિ, નરેન્દ્રભાઇ ગોર સાગર, રાજ્ય સમિતિના સભ્ય કેશુભાઇ મોરસાણિયા, રમેશભાઇ દવે, હરેશભાઇ ધોળકિયા વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકની શરૂઆતમાં વાંચે ગુજરાત અભિયાનની બેઠકમાં ઉપસ્થિત સૌને આવકાર આપતાં નરેન્દ્રભાઇ ગોર સાગરે સમિતિના કાર્યોની રૂપરેખા આપી હતી તથા તા.૧લી એપ્રિલથી શરૂ થયેલ વાંચન યાત્રા ગુજરાત સાથે કચ્છમાં પણ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે તેમ જ્ણાવેલ હતુ. સમિતિના મંત્રી અને જીલ્લા શિક્ષણાધિકારી મહેશ રાવલે વાંચે ગુજરાત એ ફ્ક્ત નારો નથી પરંતુ માણસને માણસ બનાવવનો યજ્ઞ છે. તેમ જણાવી આ યજ્ઞમાં સૌ પોતાનાથી થઇ શકે તેટલું યોગદાન આપે એવી અપિલ કરી હતી.
જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જીવાભાઇ આહિરે સમિતિ દ્વારા થતા પ્રયત્નોને વધાવી વાંચે ગુજરાત અભિયાન એ ફ્ક્ત સરકારી કાર્યક્રમ ન બની રહેતાં લોકોનો કાર્યક્રમ બની રહ્યો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના પ્રયત્નોથી કેળવણી ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઇ રહી છે અને વિદ્યાર્થીઓની વાંચન ભૂખ ઉઘડવા લાગી છે ત્યારે જ આવું સુંદર વાંચન અભિયાન શરૂ થયું છે તે સમયોચિત છે. આ અભિયાનમાં ગામે ગામ ગ્રંથમંદિર, ઝોલાં પુસ્તકાલય શરૂ કરવા ગ્રામ પંચાયતો પણ આગળ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને ભવિષ્યમાં વાંચે ગુજરાતના કાર્યક્રમો માટે જીલ્લા પંચાયત હોલ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીઅનિરુધ્ધ છાયાએ જીલ્લાની તમામ શાળા ઓ વાંચે ગુજરાત અભિયાનમાં સામેલ થઇ રહી છે તેમ જણાવી બી.આર.સી. / સી.આર.સી.ઓને આ કામમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. તથા ૧૮મી ઓગષ્ટનાં રોજ સહયોગ હોલમાં આ બાબતે શિબિર્સ્નું આયોજન કરવામાં આવેલ છે તેવું જણાવ્યું હતું.
જાણિતા ચિંતક હરેશભાઇ ધોળકિયાએ હરિફાઇના સાંપ્રત સમયમાં વાંચનનું મૂલ્ય સમજાવી આવનારી પેઢી માટે તે કેટલું જરૂરી છે તે જણાવ્યું હતું. વાંચે ગુજરાત અભિયાન જ્યાંથી શરૂ થયું તેવા નવસારીના પોતાનાં અનુભવો વર્ણવ્યા હતા.
સમિતિનાં પ્રમુખ શ્રી રસનિધિભાઇ અંતાણીએ વાંચે ગુજરાત અભિયાન નાં ભાવિ કાર્યક્રમો જેવાં કે ગ્રંથમંદિર, ઝોલા પુસ્તકાલય, મને ગમતું પુસ્તક, વગેરે વિશે સમજણ આપી હતી. આ અભિયાનમાં લોકોનો તથા સંસ્થાઓનો સ્વયંભુ સહકાર મળી રહ્યો છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. અને આગામી સમયમાં કચ્છમાં વિવિધ સ્થળોએ ગ્રંથ મંદિર, ઝોલાં પુસ્તકાલય, અને મને ગમતું પુસ્તક વાર્તાલાપ શરૂ થશે એવી જાહેરાત કરી હતી.બેઠક દરમ્યાન રાજ્ય સમિતિના સભ્ય શ્રી કેશુભાઇએ તથા જાણીતા કવિ વંચિત કુકમા વાલા એ પોતાનાં અનુભવ જણાવતાં દરેક કર્મચારી / અધિકારી પોતાની ટેબલ ઉપર ફાઇલોની સાથે એકાદ બે પુસ્તક રાખે તેવું સૂચન કર્યુ હતું.
નિરંતન શિક્ષણાધિકારી અને ઓલ્ફ્રેડ હાઇસ્કૂલનાં આચાર્યશ્રી સજ્જનસિંહ જાડેજાએ નિરંતન વાંચન અન્વયે દરેક ગામોમાં અપાયેલ વાંચવા લાયક પુસ્તકોનો ઉપયોગ કરી ગ્રંથમંદિર શરૂ કરી શકાય તેવું સૂચન કર્યુ હતું. જેમાં શ્રેષ્ઠ શિક્ષક, નિવૃત શિક્ષકનો સહયોગ લેવા જણાવ્યું હતું. ’ મને ગમતું પુસ્તક ’ વાર્તાલાપની કામગીરી રચનાબેન અંતાણી અને વિજય વ્યાસ ભુજ માટે, શ્રી ભુપેન્દ્રભાઇ મહેતા મુન્દ્રા માટે જ્યારે ધર્મેશભાઇ જોષી તથા ગોરધનભાઇ પટેલ કવિ માંડવી માટે અને શોભનાબેન વ્યાસ અંજાર માટે કામગીરી સંભાળવા તત્પરતા બતાવી હતી
શ્રી કિશોરભાઈ ચૌહાણ, ચંદ્રીકાબા જાડેજા, હઠુભા જાડેજા એ ગ્રંથ મંદિર સ્થાપવા દાન સહયોગ ની જાહેરાત કરી હતી. મીટીંગના અંતે આભારવિધિ ગોરધનભાઇ પટેલ કવિએ કરી હતી જેમાં શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યુટ તરફથી આ અભિયાનને સફળ બનાવવા તમામ સહકારની ખાત્રી આપી હતી.